સુરત : બેદરકારી બાબતે જાણે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Covid 19 Hospital)પ્રથમ નંબર મેળવશે તેવો ઘાટ ઘડાયો છે. મંગળવારે સિવિલ હૉસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ એક દર્દી (Corona Positive Patient) ભાગી ગયાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં પોલીસે તેને શોધવા માટે દોડાદોડી કરી હતી. હવે એવા સમાચાર મળ્યા છે કે આ દર્દીની લાશ (Dead Body) સિવિલ હૉસ્પિટલમાંથી જ મળી આવી છે. ગઇકાલે લાશ મળ્યા બાદ તેને પીએમ રૂમ (Post Mortem Room)માં રાખી દેવામાં આવી હતી. જે બાદમાં આજે ખુલાસો થયો છે કે આ એ જ વ્યક્તિની લાશ છે જે વોર્ડ (Corona Ward)માંથી ભાગ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીની લાશની સિવિલ હૉસ્પિટલ 48 કલાક સુધી ઓળખ ન કરી શકે તે નવાઈની વાત છે.
મંગળવારે ભાગ્યો હતો દર્દી
ભગવાન રાણા નામનો કોરોના પોઝિટિવ દર્દી નવી સિવિલ હૉસ્પિટલ ખાતેના વોર્ડમાંથી મંગળવારે 11 વાગ્યાના અરસામાં ભાગી ગયો હતો. જે બાદમાં શોધખોળ બાદ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બુધવારે એટલે કે ગઈકાલે તેની લાશ પોસ્ટમોર્ટમ રૂપ પાસેથી મળી આવી હતી. એટલે કે ઘટનાના 24 કલાક પછી તેની લાશ પીએમ રૂમ પાસેથી મળી આવી હતી. લોકોએ આ મામલાની જાણ હૉસ્પિટલને કરતા વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
પીએમ રૂમ બહાર બાકડામાંથી લાશ મળી આવી ત્યારે એક કર્મચારીને ડેડબોડીનું ટેમ્પરેચર વધારે હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં તેણે આ અંગેની વાત તેના સીનિયર ડૉક્ટરને કરી હતી. જોકે, બુધવારે તેઓ રજા પર હોવાથી ગુરુવારે ફરજ પર આવ્યા હતા. આ દરમિયાન લાશને પીએમ માટે લાવવામાં આવી હતી. જોકે, ટેમ્પરેચર વધારે હોવાની વાત ડૉક્ટરને ખબર પડતા તેમણે લાશનો ફોટો પાડીને કોરોના પોઝિટિવ વોર્ડમાં એક વ્યક્તિને પૂછપરછ માટે મોકલ્યો હતો. જે બાદમાં વોર્ડમાં દાખલ દર્દીઓએ આ તસવીર ભાગી ગયેલા કોરોના પોઝિટિવ દર્દી ભગવાન રાણાની જ હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં આ ડેડબોડી ભગવાના રાણાની હોવાનો ખુલાસો થયો હતો.આ પણ વાંચો : સુરત : કોરોનાની સારવાર લઈ રહેલી યુવતીનો વીડિયો વાયરલ, સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ
...તો પોસ્ટમોર્ટમ પણ થઈ જાત!
દર્દી ભાગી ગયા બાદ કોને મળ્યો હતો, શા માટે ભાગ્યો હતો તે તમામ માહિતી અંગે હાલ તંત્ર અજાણ હોવાથી ફફડાટ ફેલાયો છે. એક પછી એક બેદરકારીના બનાવો બનતા હોવાથી તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ જો ડેડબોડી કોરોના પોઝિટિવ દર્દીની છે તેવી જાણ ન થઈ હોય તો તેનું પોસ્ટમોર્ટમાં પણ થઈ ચૂક્યું હોત. આ દરમિયાન પણ સ્વાસ્થ્યકર્મીઓને ચેપ લાગી શક્યો હોત. આદેશ પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીનું મોત થાય તો તેનું પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવતું.
આ કેસમાં તંત્રની અન્ય એક બેદરકારી પણ સામે આવી છે. સામાન્ય રીતે ક્વોરન્ટીન કે પછી આઈસોલેશન વોર્ડમાં દાખલ લોકોના હાથ પર સિક્કો મારી દેવામાં આવે છે. જેનાથી અન્ય લોકો દર્દીને ઓળખી શકે. ભગવાન રાણાના હાથ પર કોઈ સિક્કો ન હોવાથી તેની ઓળખ કરવાનું મુશ્કેલ બન્યું હતું. આ મામલે કોઈની જવાબદારી નક્કી કરીને કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.