Kutch: ભૂકંપને આજે 21 વર્ષ પૂર્ણ: કાટમાળમાં દટાયેલું કચ્છ આજે પ્રવાસન અને ઉદ્યોગો થકી સુચારુ બન્યુ
Updated: January 26, 2022, 8:22 PM IST
ભૂકંપ સમયની તસવીર
21 વર્ષ પહેલાં 7.7ની તીવ્રતાના ભૂકંપે કચ્ચનીનધ્રા ધ્રુજાવી અનેક ઈમારતોને જમીનદોસ્ત કર્યા હતા અને અનેક લોકોના જીવ લીધા હતા
કચ્છ: 2001 એક એવું સાલ હતું કે જેણે કચ્છની દિશા અને દશા હંમેશ માટે બદલાવી હતી. જ્યારે સમગ્ર દેશ નવી સદીના પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે જ કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. લોકોના ઘર, દફતર, સરકારી ઈમારતો ધરાશાયી થયા હતા અને થોડી જ ક્ષણોમાં લાખો લોકો બેઘર થયા હતા. ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે. સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા ત્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેકના મૃતદેહ પણ ન મળી શક્યા.
કોઈ પોતાના હાથમાં પરિવારજનોના મૃતદેહ લઈને સ્મશાને પહોંચી રહ્યા હતા તો જેમણે એકથી વધારે પરિવારજનોને ખોયા હતા તેઓ હાથગાડીમાં મૃતદેહો સ્મશાને પહોંચી રહ્યા હતા. સ્મશાનોમાં મૃતદેહોનું અંતિમસંસ્કાર કરવા ચિત્તાઓ ઓછી પડી રહી હતી તો કબ્રસ્તાનોની જમીન ટુંકી પડી રહી હતી.
આજે ભૂકંપને 21 વર્ષ વીત્યા બાદ પણ કચ્છના લોકો તે દિવસને નથી ભૂલી શક્યા. ભૂકંપની વાત આવતા આજે પણ કઠણ મનના માનવીનું કાળજું કંપી ઉઠે છે. પણ જેમ ગ્રીક પૌરાણિક કથા મુજબ ફિનિક્સ પક્ષી પુનઃ જીવિત થાય તેમ કચ્છ માટી અને સિમેન્ટના કાટમાળમાં આજે ઉભુ થઈ વિશ્વ ફલક પર પહોંચ્યું છે.
ભૂકંપ બાદના બે દાયકાની વાત કરતા કચ્છના તે સમયના સિવિલ સર્જન ડૉ. જ્ઞાનેશ્વર રાવ News18 સાથે વાત કરતા યાદ કર્યું હતું કે ભૂકંપના કારણે ભુજની જનરલ હોસ્પિટલ પણ ધરાશાયી હતી. "દરેક મિનિટે દર્દીઓની સંખ્યા વધી રહી હતી પણ સારવાર માટે અતિ આવશ્યક એવું દવાખાનું જ બચ્યું ન હતું. એવું સમય હતું કે વિચારતા પણ ડર લાગે કે કઈ રીતે આ આપત્તિમાં તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી પડાઈ હશે. પણ કલાકોની અંદર જ જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ટેન્ટમાં હોસ્પિટલ ઊભી કરી હતી અને થોડા સમય બાદ ત્યાં જ હંગામી ધોરણે સારવાર કેન્દ્ર શરૂ કર્યો હતો."
આ પણ વાંચો: Arvalli: અકસ્માતનો live video, શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યા બાદ સામે આવતી કારને અથડાઈ
ભૂકંપના 21 વર્ષ બાદ હાલ પરિસ્થિતિ વિશે વાત કરતા ડૉ રાવે કહ્યું હતું કે અત્યારે કચ્છ તબીબી ક્ષેત્રમાં ઘણો આગળ વધી ગયો છે. "આજે ઘણી ખાનગી અને ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ કચ્છમાં કાર્યરત છે સાથે જ દરેક ક્ષેત્રના નિષ્ણાત તબીબ પણ કચ્છમાં છે. તબીબી ચકાસણી માટે પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ જો ભૂકંપના સંબંધમાં વાત કરીએ તો તે સમયે જે આપાતકાલીન પરિસ્થિતિ મુજબની સુવિધાઓની અછત હતી તે આજે પણ પૂરી નથી થઈ. ઇમર્જન્સી મેડિકલ સર્વિસિસમાં હજુ પણ ઘણા સુધારાની જરૂર છે અને હું ઇચ્છું છું કે આવનારા વખતમાં તે આપણે ઊભી કરી શકીએ."ભૂકંપ બાદ કચ્છ પાસે હારવા માટે કંઈ બચ્યું ન હતું પણ જીતવા માટે આખું ફલક હતું. રણ, બાવળ અને અછતનું આ પ્રદેશ જોતા જોતા આજે દેશ વિદેશમાં પોતાના રણ, હસ્તકળા અને પરંપરા માટે પ્રખ્યાત થયું છે. ભૂકંપ બાદ પ્રવાસન એ કચ્છનો એક મહત્વનો આવક સ્ત્રોત બન્યો અને દેશ વિદેશથી લોકો કચ્છનું સફેદ રણ, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ અને રાજાશાહી વખતના મહેલો જોવા પહોંચે છે.
આ પણ વાંચો: 2001ના કચ્છના ભૂકંપમાં પગ કપાયો પણ આજે આ મહિલાએ પોતાની સાથે અન્ય પાંચ હજાર મહિલાઓને પણ પગભર કર્યા
પ્રવાસન સાથે ઉદ્યોગોએ પણ કચ્છની પ્રગતિમાં એક મહત્વનું ભાગ ભજવ્યું હતું. ભૂકંપ બાદ કચ્છને આર્થિક રીતે સધ્ધર કરવા ઉદ્યોગોને ટેકસમાં રાહત અપાતા અનેક ઉદ્યોગોએ કચ્છને પોતીકું માની પ્રગતિની દોડમાં ભાગ લીધું. ભૂકંપ બાદના બે દાયકામાં ઉદ્યોગો વિશે વાત કરતાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના પ્રેસિડેન્ટ રાજેશ ભટ્ટ દ્વારા News18 સાથે વાત કરતા કહ્યું હતું કે, "ભૂકંપ પહેલાં કચ્છમાં ઉદ્યોગોનું કોઈ અસ્થિત્વ હતું જ નહીં પણ આજે કચ્છમાં અનેક ઉદ્યોગો ખીલી ઉઠ્યા છે. પણ ભૂકંપ બાદ મોટી માત્રામાં કચ્છમાં ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ આવતા કચ્છની કાયા પલટ થઈ છે. આજે કચ્છમાં રૂપિયા એક લાખ કરોડથી વધારે રોકાણ થયું છે અને એના કારણે જ કચ્છના લોકોને પણ રોજગારની તકો પૂરી પડી રહી છે. આજે દરેક ક્ષેત્રમાં કચ્છ વિશ્વસ્તરે ઊભો છે અને આપણું કચ્છ અત્યારે બિચારું નહીં પણ સુચારુ કચ્છ બન્યું છે."
આ પણ વાંચો: આકાશમાં ટ્રાફિક જામ! અમદાવાદ એરપોર્ટના આકાશમાં એક સાથે 8 ફ્લાઇટ ભેગી થઇ ગઈ
કચ્છમાં પહેલા પણ અનેક કુદરતી આપત્તિઓ આવી ગઈ છે પરંતુ 2001નો ભૂકંપનો કચ્છના લોકો કયારેય ભૂલી નહિ શકે. બે દાયકા, 240 મહિના જેટલા લાંબા સમય દરમિયાન કચ્છની ખામીરવંતી પ્રજા આજે ઉભી થઇ છે તેને વિશ્વભરે એક વિશેષ સન્માન સાથે જોઇ રહ્યું છે.
First published:
January 26, 2022, 8:22 PM IST