સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી16 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધીમાં ભાજપાના સાતેય મોરચાઓ રાજ્યના 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે. ભાજપા સરકારે કરેલી પ્રજાહિતની કામગીરી, જનકલ્યાણકારી યોજનાઓ, ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વવ્યાપી, સર્વસ્પર્શી બને તે માટે ભાજપા દ્વારા જનસંપર્કનું મોટું અભિયાન હાથ ધરવામાં આવશે..
મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને છેલ્લા બે દિવસથી પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે ભાજપાની વિવિધ ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિવિધ બેઠકો યોજાઇ હતી. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રાજ્યભરમાં યોજાવા જઇ રહેલી આ ચૂંટણીઓ અતિમહ્ત્વની છે. 5મી જાન્યુઆરીએ મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગની બેઠકો તેમજ ગઈકાલે 6 જાન્યુઆરીએ ભાજપાના તમામ મોરચાના પ્રદેશ આગેવાનોની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી અને ત્યારબાદ વિવિધ મોરચાના પ્રદેશ હોદ્દેદારો મોરચાના જિલ્લાના અપેક્ષિત અગ્રણીઓ સાથે મોરચા સ: બેઠકો યોજી હતી.
મહેશ કસવાલાએ ભાજપાના આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 12 તારીખ સુધીમાં ભાજપાના તમામ મોરચાની જિલ્લા બેઠકો પૂર્ણ થશે. તા. 16 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધીમાં ભાજપાના સાતેય મોરચાઓ રાજ્યના 50 હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી રાજ્યભરમાં 1 લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે. ભાજપાનો પ્રત્યેક મોરચો તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ પત્રિકા સાથે મતદારો પાસે જઈ ભાજપા સરકારની કામગીરીથી અવગત કરશે.
ભાજપા સરકારે કરેલી પ્રજાહિતની કામગીરી, જનકલ્યાણકારી યોજનાઓ, ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વવ્યાપી, સર્વસ્પર્શી બને તે માટે ભાજપા દ્વારા જનસંપર્કનું આ મોટું અભિયાન હાથ ધરવામાં આવશે તેમ કસવાલાએ જણાવ્યું હતું.
મહેશ કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ 41 જિલ્લા/મહાનગરોમાં ભાજપા મીડિયા વિભાગના યોજાનાર વર્કશોપનો આજથી પ્રારંભ થયો છે, આગામી એક અઠવાડિયામાં જિલ્લા સ્તરે ભાજપાના મીડિયા વર્કશોપ યોજાશે, ત્યારબાદ ભાજપાના 579 સંગઠનાત્મક મંડલોમા પણ મીડિયા વિભાગ દ્વારા ગ્રૂપ બેઠકો યોજાશે. ભાજપાના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા પણ 12 જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લા/મહાનગરોમાં બેઠકો પૂર્ણ થશે અને તમામ મંડલોમા પણ સોશિયલ મીડિયામાં રુચિ ધરાવતા 20-25 કાર્યકર્તાઓ સાથે ગ્રૂપ મિટિંગો યોજાશે.