નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની સિઝન (IPL 2021 Auction) માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાઇ શકે છે. બીસીસીઆઈએ શુક્રવારે પીટીઆઈ-ભાષાને આ જાણકારી આપી છે. અધિકારીએ કહ્યું કે હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાઇ શકે છે. જોકે સ્થળ ક્યાં હશે તે વિશે નિર્ણય લેવાનો હજુ બાકી છે. બીસીસીઆઈએ હજુ એ નક્કી કરી શક્યું નથી કે આગામી આઈપીએલનું આયોજન ભારતમાં થશે કે નહીં. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સતત ભાર આપીને કહ્યું કે તેનું આયોજન ઘરેલું મેદાન પર કરવા માટે દરેક પ્રયત્ન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે 2020માં આઈપીએલ સંયુક્ત અરબ અમિરાતમાં યોજાઈ હતી.
તમને જણાવી દઈએ કે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી હતી. 4 ફેબ્રુઆરી સુધી ટ્રેડિંગ વિન્ડો (ખેલાડીઓનું એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રાન્સફર) ચાલું રહેશે. ટીમોએ રિલીઝ કરેલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ (રાજસ્થાન રોયલ્સ), ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ) જેવા દિગ્ગજો સામેલ છે.
આઈપીએલ 2021ની હરાજી ઘણી રસપ્રદ થવાની છે કારણ કે લગભગ બધી ટીમોએ મોટા ખેલાડીઓને ટૂર્નામેન્ટ પહેલા રિલીઝ કરી દીધા છે. રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન સ્ટિવ સ્મિથને રિલીઝ કર્યો છે. જેથી હવે જોવું રસપ્રદ બનશે કે તેના પર કઈ ટીમ દાવ લગાવશે.
ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે બચેલા પૈસાની વાત કરવામાં આવે તો આરસીબી પાસે 35.70 કરોડ રૂપિયા બચ્યા છે. સીએસકે પાસે 22.90 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે 34.85 કરોડ, દિલ્હી કેપિટલ્સ પાસે 12.8 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 12.8 કરોડ, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધારે 53.2 કરોડ, મુંબઇ ઇન્ડિયન્સ પાસે 15.35 કરોડ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 10.85 કરોડ રૂપિયા છે.