Surat News: સુરતની એક ખાનગી શાળાની દાદાગીરી, હિન્દીમાં જન્મનું પ્રમાણપત્ર હોવાથી એડમિશન ના આપ્યું
Updated: January 2, 2023, 8:05 PM IST
સુરતની ખાનગી શાળાએ દાદાગીરી કરતા વિવાદ વકર્યો હતો.
Surat News: સુરતના ઉધના-ડિંડોલી ફ્લાયઓવર બ્રિજ નજીક આવેલી મેરી માતા સ્કૂલના સંચાલકોની મનમાની અને દાદાગીરી સામે આવી છે. હિન્દીમાં જન્મનું પ્રમાણપત્ર હોવાથી એડમિશન ના આપ્યું.
સુરતઃ ઉધના-ડિંડોલી ફ્લાયઓવર બ્રિજ નજીક આવેલી મેરી માતા સ્કૂલના સંચાલકોની મનમાની અને દાદાગીરી સામે આવી છે. હિન્દી ભાષામાં જન્મનું પ્રમાણપત્ર હોવાથી બાળકને એડમિશન આપવાની ના પાડી દીધી હતી. જો કે, અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ભારે વિરોધ અને પોલીસની મધ્યસ્થી બાદ અંતે શાળા સંચાલકોએ એડમિશન આપવા લેખિતમાં બાંહેધરી આપી હતી. એટલું જ નહીં, પરંતુ આજથી તમામ પ્રકારની ભાષાના જન્મ પ્રમાણપત્ર પણ સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.
શાહે હિન્દીને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી
મળતી માહિતી પ્રમાણે, સુરતના આંગણે ભારતીય હિન્દી દિવસની ઉજવણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રભાષા હિંદીને વધુ પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. ત્યાં સુધી કે હિન્દી ભાષાનો વધુથી વધુ ઉપયોગ કરવામાં આવે તેવું આહ્વાન દેશવાસીઓને કર્યું હતું. પરંતુ ગૃહમંત્રીની આ અપીલને પણ સુરતની ખાનગી શાળા જાણે ઘોળીને પી ગઈ હતી.
શાળામાં ધરણાં-પ્રદર્શન કર્યુ
સુરતના ઉધના-ડિંડોલી ફલાયઓવર બ્રિજ નજીક આવેલ મેરી માતા શાળામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. અહીં શાળાના સંચાલકોએ હિન્દી જન્મ પ્રમાણપત્ર હોવાથી બાળકને એડમિશન આપવાની ના પાડી દીધી હતી. શાળા સંચાલકોએ અંગ્રેજીમાં જન્મ પ્રમાણપત્ર લઈ આવે તો જ વિદ્યાર્થીને એડમિશન આપવાની વાત કરી હતી. જેને લઈને ભારે હોબાળો થયો હતો. વિદ્યાર્થી હિતમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા શાળામાં ધરણાં-પ્રદર્શન શરૂ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાથી એકબીજા સાથે ફ્રેન્ડશીપ કરીને છેતરપિંડી
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. છતાં શાળા સંચાલકો ગોળ ગોળ જવાબ આપતા હતા. એબીવીપીએ ઉગ્ર રજૂઆત સાથે દેખાવ અને સૂત્રોચ્ચાર સાથે નારેબાજી શરૂ કરી દીધી હતી. જ્યાં અંતે ભારે વિરોધના પગલે શાળા સંચાલકોએ નમતું કરી પોતાનો નિર્ણય બદલ્યો હતો. એબીવીપી અને પોલીસની મધ્યસ્થી બાદ શાળા સંચાલકોએ તમામ ભાષાના જન્મ પ્રમાણપત્ર સ્વીકારી બાળકોને હવેથી એડમિશન આપવાની બાંહેધરી લેખિતમાં આપી હતી. ભારે વિરોધને જોતા હરકતમાં આવેલા શાળા સંચાલકોએ પોતાનો નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી હતી.
Published by:
Vivek Chudasma
First published:
January 2, 2023, 8:05 PM IST