

હરિન માત્રાવાડિયા, રાજકોટઃ સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાયની છૂટ આપવામાં આવેલ છે. ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો (Social distance) અને ફરજિયાત માસ્ક (mask) અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તેવા ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જોકે, રાત્રી કર્ફ્યૂ (curfew) પહેલા રાજકોટના (rajkot) માર્ગો ઉપર કોરોના નિયમોના લીરે લીરા ઉડ્યા હતા.


શહેરમાં કોરોના વધુ ના વકરે એ માટે આ નિયમોના પાલન માટે તંત્ર વધુ સતર્ક રહી નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


કાલાવડ રોડ પર દર શનિવારે બજાર ભરાય છે, જે સંદર્ભે આજે શનિવારી બજારમાં માણસોના ટોળા જોવા મળતા નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને 200થી વધુ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.


તેમજ માણસોને જનજાગૃતિ અંગે ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી. મ્હો અને નાક સરખું ઢંકાઈ એ રીતે માસ્ક પહેરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.